બુધવાર, 28 માર્ચ, 2018

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્ર સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થઇ રહ્યો છે.


ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક કડક કાયદાઓ લાવી,નીતિઓને તેમજ બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવી ભવિષ્યમાં આવાં એકપણ કૌભાંડ ના થાય તેનાં માટે મક્કમતાથી આગળ વધી રહી છે.


છેલ્લાં ચાર વર્ષમાં બેન્કોએ આપેલી લોનમાંથી એકપણ લોન NPA થઇ નથી.
 

ભ્રષ્ટાચાર,તુષ્ટિકરણની રાજનીતિ,પરિવારવાદ,નીતિ વિષયક બાબતોમાં અનિર્ણાયકતા,દેશ વિરોધી નીતિરીતિઓ,કૌભાંડોની વણઝાર વગેરે જેવી બાબતોને લીધે દેશની જનતાએ એક સમયે ૪૦૦ સીટો જીતેલી કોંગ્રેસને ફક્ત ૪૪ એ પહોંચાડી દીધી.કોંગ્રેસના ૨૦૦૪ થી ૨૦૧૪ ના દસ વર્ષના શાસન દરમિયાન દર બે-ત્રણ મહીને એક કૌભાંડ બહાર આવતું હતું. કોંગ્રેસ વખતના આર્થિક કૌભાંડો પર એક નજર નાંખીએ તો હર્ષદ મહેતા કૌભાંડ,કેતન પારેખ કૌભાંડ,રામાલિંગા રાજુનું સત્યમ કૌભાંડ,સહારા ઇન્ડિયા કૌભાંડ,શારદા ચીટ ફંડ કૌભાંડ,NSEL કૌભાંડ વગેરે.કેન્દ્રમાં કોંગ્રેસ શાસનનો અંત આવ્યો તેને પણ ચાર વર્ષ થયા છતાં કોંગ્રસના સમયમાં આચરેલા કૌભાંડો હજુપણ તેમનો પીછો છોડતા ના હોય તેમ એક પછી એક સામે આવતા જાય છે.

તાજેતરમાંજ બેંકિંગક્ષેત્રના મસમોટાં કૌભાંડો સામે આવ્યા.આ કૌભાંડો ભાજપા સરકારના કાર્યકાળ દરમિયાન ખુલ્લાં પડ્યા છે ત્યારે વિપક્ષો જુઠાણાઓ ફેલાવી એવી ભ્રાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કૌભાંડો ભાજપા સરકારની મદદથી થયા છે.કેન્દ્રની ભાજપા સરકારનાં ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો એકપણ આરોપ કોઈ લગાવી શક્યું નથી.આજે જયારે વર્ષો પછી દેશને એક પ્રમાણીક અને ઈમાનદાર સરકાર મળી છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિપક્ષોને આ વાત આંખના કણાની જેમ ખુંચે.તેથી જ આવા બેબુનિયાદ આક્ષેપો તેઓ ભાજપા પર કરી રહ્યાં છે.૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી આજ સુધીમાં ભાજપા સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે એમ કહી શકાય કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્રીય કાયદામંત્રીશ્રી રવિશંકરપ્રસાદે તાજેતરમાંજ એક પ્રેસવાર્તામાં બહુમોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ‘’NPA (નોન પરફોર્મિંગ અસેટસ) સંકટ એ દેશને કોંગ્રસની ભેંટ છે.૧૦ વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે તેના તમામ નજીકના ઉદ્યોગપતિઓને બેંકો દ્વ્રારા લોન અપાવી.જનતાની મહેનતના, બેન્કોમાં જમા પૈસાની લ્હાણી કરી અને એવું પ્લાનિંગ કર્યું કે બેન્કોની બેલેન્સશીટમાં તેને દેખાડ્યું પણ નહિ.માર્ચ ૨૦૦૮માં બેંકો દ્વારા અપાયેલું કુલ એડવાન્સ ૧૮.૦૬ લાખ કરોડ રૂપિયા હતું. જે યુપીએ શાસનના ત્યાર પછીના છ વર્ષમાં તે ત્રણ ગણું વધીને માર્ચ ૨૦૧૪માં ૫૨.૧૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.માર્ચ ૨૦૧૪માં ફક્ત ૩૬% ભારિત અસ્કયામતોને NPA  તરીકે દર્શાવી અને જયારે જુન ૨૦૧૭માં આ જ ભારિત અસ્ક્યામાંતોનો ખુલાસો થતાં તે ૮૨% પર પહોંચી ગઈ.મોટા પ્રમાણમાં છુપાવી રાખેલી NPA(નોન પરફોર્મિંગ અસેટસ)ને મોદી સરકારે શોધીને કોંગ્રસના ૧૦ વર્ષોના કારનામા પ્રજા સમક્ષ ખુલ્લાં પાડ્યા છે.છેલ્લાં ચાર વર્ષમાં બેન્કોએ આપેલી લોનમાંથી એકપણ લોન NPA થઇ નથી.વાસ્તવમાં એનપીએ સંકટ એ યુપીએ સરકારનું મસમોટું કૌભાંડ છે અને એનડીએ સરકારને મળેલી સૌથી મોટી જવાબદારી(liability) છે.’’

નીરવ મોદી અને મેહુલ ચોકસી કૌભાંડની શરૂઆત પણ ૨૦૧૧માં કોંગ્રેસ શાસન દરમિયાન જ થયેલી.તેમને ફાયદો કરાવવા માટે કોંગ્રસના પી.ચિદમ્બરમે તેના શાસનનાં છેલ્લાં દિવસ સુધીની તક પણ જતી કરી નહોતી.૧૬મી મેં ૨૦૧૪ના દિવસે લોકસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થવાના હતા તે દિવસે પી.ચિદમ્બરમે ગોલ્ડ ઈમ્પોર્ટ માટેની ૮૦:૨૦ની સ્કીમમાં સુધારો કરતો ઓર્ડર ઈશ્યુ કર્યો અને પ્રીમિયર ટ્રેડીંગ હાઉસ અને સ્ટાર ટ્રેડીંગ હાઉસોને આ સ્કીમ હેઠળ ગોલ્ડ ઈમ્પોર્ટ કરવાની છૂટ અપાઈ.કેગના નિરીક્ષણ મુજબ તેનાંથી ૧૩ ટ્રેડીંગ હાઉસોને રૂપિયા ૪૫ અબજ જેવો લાભ થયો.આ ૧૩ કંપનીઓમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ પણ સામેલ છે.શાસનનાં છેલ્લાં દિવસે તમને આવો અગત્યનો નિર્ણય ઉતાવળે કરવાની શી જરૂર પડી ? આમ પણ પરિણામના દિવસ સુધી આચારસંહિતા લાગુ હોય છે તેમ છતાં શા માટે આવો ઓર્ડર ઈશ્યુ કરાવ્યો ? કોના ફાયદા માટે આવું કરવું પડ્યું ? એવી તે શી ઉતાવળ હતી ? તમે આવો અગત્યનો નિર્ણય નવી સરકાર પર શા માટે ના છોડ્યો ?હાલ,ભાજપની સરકાર દ્વારા આ કેસમાં સંડોવાયેલા ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પીએનબી બેંકના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે.મુંબઈની વિશેષ કોર્ટે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યા છે અને આ બંનેની કુલ રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુની સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત આ બંને સામે રેડકોર્નર નોટીસ જારી કરવા ઇડીએ ઇન્ટરપોલનો પણ સંપર્ક કર્યો છે.આમ,ભાજપા સરકાર ગુનેગારોને પકડવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે.

આ જ રીતે વિજય માલ્યા અને કોંગ્રેસની દોસ્તી પણ જગજાહેર છે. વિજય માલ્યાને ૨૦૦૯માં કોંગ્રેસ કૃપાથી ૧૫ જેટલી બેન્કોએ ૯ હજાર કરોડની લોન આપી હતી.આ કૌભાંડ પણ કેન્દ્રમાં ભાજપા સરકાર આવી પછી બહાર આવ્યું.તેની ભારત ખાતેની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.હાલ તેના વિરુધ્ધ લંડનમાં કેસ ચાલી રહ્યો છે.ભારત સરકાર વતી સીપીએસ દલીલો કરી રહ્યું છે.લંડનની વેસ્ટમીન્સ્ટર કોર્ટના જજે પણ ટકોર કરી છે કે ભારતની બેન્કોએ તમામ નિયમો નેવે મુકીને માલ્યાને લોન આપી છે.આ છે કોંગ્રેસના કાળા કરતુતોનો વધુ એક નમુનો.

કોંગ્રેસના કાર્તી ચિદમ્બરમની માની લોન્ડરિંગ અને લાંચ લેવાના કેસમાં ધરપકડ થઇ છે.૨૦૧૨માં કોંગ્રસના શાસનમાંજ બેન્કોનાં હજારો કરોડ લઇ વિદેશ ભાગી ગયેલ જતીન મહેતા સામે કોંગ્રેસે કોઈ પગલાં લીધા નહોતા.કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારબાદ તેની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.કોંગ્રેસના સમયમાંજ જેને લોન આપી હતી તેવા રોટોમેકના વિક્રમ કોઠારી અને તેના પુત્રની ૩૬૯૫ કરોડના વિલફુલ ડિફોલ્ટર કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી છે અને હાલ જેલમાં છે.આ જ રીતે કોંગ્રેસ શાસનમાં લોન લેનાર આર.પી.ઈન્ફોસીસ્ટમના ડીરેકટરોની પણ ૫૧૫ કરોડની બેંક સાથેની છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા ૪૦૦ કંપનીઓની યાદી તૈયાર કરાઈ છે અને બેન્કોના પૈસાનું ફૂલેકું ફેરવનાર ૯૧ ડિફોલ્ટરોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ડિફોલ્ટરો કાયદાનો ફાયદો લઇને છટકી ના જાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ ૨૦૧૬’ નો નવો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.આ ઉપરાંત દેશની જનતાના પૈસા સુરક્ષિત કરવા માટે હાલ એફઆરડીઆઈ બીલ પણ ચર્ચામાં છે.

આમ,ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક કડક કાયદાઓ લાવી,નીતિઓને તેમજ બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવી ભવિષ્યમાં આવાં એકપણ કૌભાંડ ના થાય તેનાં માટે મક્કમતાથી આગળ વધી રહી છે.