ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013

ઘસાતો રુપીયો,મંદીનો માહોલઃNRI માટે ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય.રોકાણ માટે બેસ્ટઃપ્રોપર્ટી,બેંક ડીપોઝીટ અને શેર.

ભારતનું અર્થતંત્ર હાલ મંદીનાં દૌરમાંથી પસાર થઈ રહ્યું છે.ભારતીય રુપિયો ડોલર સામે ખાસ્સો ઘસાઈ ગયો છે.આ સમાચાર આમ તો ભારતીયો માટે દુઃખ નાં સમાચાર છે પરંતુ વિદેશમાં રહેતા લાખો ભારતીયો અને તેમનાં ભારતમાં રહેતાં સગા-વ્હાલાંઓ માટે આ સમાચાર આનંદદાયક કહી શકાય કારણ કે વિદેશમાં કમાયેલાં ડોલરને જ્યારે તેઓ ભારતીય રુપિયામાં રુપાંતર કરશે ત્યારે ઘસાયેલા રુપિયાને લીધે તેઓને પહેલાંની સરખામણીએ ખુબ વધારે રુપીયા મળશે.૧૯૯૪-૯૫ આસપાસ એક ડોલરનાં ૪૫ રુપિયા મળતા હતાં તે હાલમાં ૬૦-૬૨ રુપિયા એ પહોંચી ગયો છે.વર્લ્ડ બેંકનાં રીપોર્ટ મુજબ આ વર્ષે NRI લોકો વધુ ને વધુ ડોલર ભારતમાં ઠાલવશે. તેનાં અંદાજ પ્રમાણે ૭૧ બીલીયન ડોલર ભારતમાં ઠલવાશે તેમજ ગેરકાયદેસર રીતે આવશે તે અલગ.

જો તમે પણ NRI હો અને ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારાં માટે શુભ છે.કારણ કે ભારત હાલ મંદીનાં માહોલમાં છે અને આવનારી ૨૦૧૪ લોકસભાની ચુંટણી બાદનાં સતા પરીવર્તનને લીધે ભારતનાં અર્થતંત્રમાં ૨૦૧૪ નાં અંતથી જોરદાર તેજીનો પવન ફુંકાવાનો છે.આવા સંજોગોમાં NRI માટે ભારતમાં રોકાણ કરવા માટે રીયલ એસ્ટેટ,બેંક ડીપોઝીટ અને શેર માર્કેટ શ્રેષ્ઠ રોકાણ સાધનો સાબીત થઈ શકે તેમ છે.

રીયલ એસ્ટૅટમાં રોકાણ

હાલ છેલ્લાં ત્રણ વર્ષથી ભારતનાં પ્રોપર્ટી માર્કેટ માં મંદીનો માહોલ છે.આગઝરતી તેજી બાદનો આ સમય પ્રોપર્ટી માર્કેટ માટે કરેક્શનનો સમય છે એવું કહી શકાય.મિલ્કતોનાં ભાવ આસમાને આંબીને હવે ફરીથી ધરતી તરફ આવતાં જાય છે.ભારતનાં રીયલ એસ્ટેટ્માં રોકાણ કરવા માટેનો આ સમય શ્રેષ્ઠ કહી શકાય કારણ કે દરેક શહેરમાં આજે મિલ્કતો તેનાં ખુબ વ્યાજબી ભાવે મળતી થઈ છે.મિલ્કતની ખરીદી કરતાં પહેલાં સ્થળની યોગ્ય પસંદગી,તેની બજાર કીંમત તેમજ તેની કાયદેસરતા બાબતે અભ્યાસ કરવો ખુબ જ જરુરી છે.રિયલ એસ્ટેટનાં રોકાણોમાં તરલતા ખુબ જ ઓછી હોય છે તેમજ ઉંચા વળતર માટે લાંબા સમય માટે રાહ જોવી પડતી હોય છે.દસ વર્ષનાં સમયગાળામાં સામાન્ય સંજોગો માં રીયલ એસ્ટેટ નું રોકાણ અંદાજે વાર્ષીક ૧૨ થી ૧૫ ટકાનું વળતર આપે છે.આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી ને ભારતમાં રીયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય.

બેંક ડીપોઝીટમાં રોકાણ

ભારતમાં વધતાં ફુગાવાને કાબુમાં રાખવાનાં સરકારનાં પ્રયત્નોનાં ભાગરુપે બેંક ડીપોઝીટનાં દરો હાલ તેનાં સૌથી ઉંચા લેવલ પર છે.NRI લોકો આવી ડીપોઝીટમાં લાંબાગાળાનું રોકાણ કરીને ઉંચા ગેરેંટેડ વ્યાજનો ફાયદો લઈ શકે છે.NRE અને NRO ડીપોઝીટમાં જુદાં જુદાં સમયગાળા માટે અંદાજે ૮.૫% થી ૯.૫% ટકા સુધીનાં વ્યાજ દરો જુદી જુદી બેંકો દ્વારાં ઓફર કરવામાં આવે છે.FCNR ડીપોઝીટમાં પણ રોકાણ કરી શકાય જેમાં ડોલરમાં ૩ થી ૪ ટકા અને ઓસ્ટ્રેલીયન ડોલરમાં ૬ થી ૭ ટકાનો વ્યાજ દર આપવામાં આવે છે.

શેર માર્કેટ્માં રોકાણ

NRI લોકો શેરમાં રોકાણ કરી ને ભારતીય કંપનીઓની વૃધ્ધીમાં ભાગીદાર બની શકે છે.શેરમાં રોકાણ એ જોખમી રોકાણોની સુચીમાં આવે છે તેમ છતાં જે લોકો જોખમ ઉઠાવીને પણ લાંબાગાળે ખુબ જ મોટો નફો કમાવવા ઈચ્છતા હોય તેવા લોકો માટે શેરમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે.હાલ છેલ્લાં ત્રણ - ચાર વર્ષથી ભારતીય શેર બજાર પણ મંદીમાં ઘેરાયેલું છે પરંતુ લાંબાગાળે ભારતીય શેર બજાર ચોક્કસપણે ઉંચુ વળતર આપી શકવાની ક્ષમતા ધરાવે છે.

ભારતીય શેરબજારમાં NRI લોકો સીધું જ રોકાણ કરી શકે છે.શેર બજારમાં રોકાણ કરવા માટે તમારાં NRE કે NRO એકાઉન્ટ ને પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ(PIS) એકાઉન્ટ તરીકે તબદીલ કરાવવું પડે છે.તમારાં આ એકાઉન્ટનાં દરેક ટ્રન્ઝેકશનનો રીપોર્ટ RBI ને મોકલવામાં આવે છે કારણ કે RBI નાં નિયમ મુજબ NRI નું રોકાણ કોઈ એક ભરતીય કંપનીમાં તે કંપનીનાં કુલ પેઈડ અપ કેપીટલ નાં ૧૦% કરતાં વધારે થવું ના જોઈએ.

શેરમાં રોકાણ કરવા માટે સેબી માન્ય બ્રોકર પાસે ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેને તમારાં PIS એકાઉન્ટ સાથે જોડવામાં આવે છે.ભારતીય શેર બજારમાં NRI ને ફક્ત ડિલેવરી બેઈઝ્ડ રોકાણ કરવાની જ છુટ આપવામાં આવેલી છે.તેઓ રોજે રોજ શેર ની લેં- વેંચ કરી શક્તા નથી.IPO માં NRI  ને રોકાણ કરવાની છુટ છે તેનાં માટે તેઓ ને PIS એકાઉન્ટની પણ જરુર નથી તેઓ તેનાં NRE કે NRO એકાઉન્ટ દ્વારાં પણ IPO માં રોકાણ કરી શકે છે.આ ઉપરાંત ફોરેન સ્ટોક એક્સ્ચેંજમાં લીસ્ટૅડ ભારતીય કંપનીઓની અમેરીકન ડિપોઝીટરી રીસીપ્ટ(ADR) અને ગ્લોબલ ડિપોઝીટરી રીસીપ્ટ્સ(GDR)માં પણ NRI તેનાં નાણાંનું રોકાણ કરી શકે છે.