ગુરુવાર, 23 જુલાઈ, 2009

બજેટ ૨૦૦૯-૧૦ - પર્સનલ ઈન્કમટેક્ષ ને લગતાં સુધારાઓ અને તેની અસરો

બજેટ -૦૯,આમ તો ભારત નાં તમામ ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું છે.ઈન્કમટેક્ષને લગતાં સુધારાઓની બાબતમાં પણ લોકોને નાણાંમંત્રી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ હતી.પરંતુ તે અપેક્ષાઓ આ બજેટ્માં સંતોષાઈ નથી.તેમ છતાં બજેટ-૦૯ માં વ્યક્તિગત આવકવેરાની બાબતમાં થોડા સુધારાઓ કરવામાં આવ્યાં છે.આજે આપણે તે સુધારાઓ અને તેની આપણાં પર્સનલ ઈન્કમટેક્ષ પર થતી અસરો વિશે ચર્ચા કરીશું.

# પર્સનલ ઈન્કમટેક્ષ માં થયેલાં સુધારાઓ
૧, ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
૨ ,ઈન્કમટેક્ષનાં ૧૦% સરચાર્જની નાબુદી
૩, સેક્શન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
૪, સેક્શન ૮૦ E નાં વ્યાપમાં વધારો
૫, ઈન્કમટેક્ષનાં ફોર્મમાં સરળતા

#૧- ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
આ બજેટમાં વ્યક્તિગત ઈન્કમટેક્ષમાં વાર્ષીક આવક પર આપવામાં આવતી મુક્તિ મર્યાદામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.વરિષ્ઠ નાગરીકો માટે છુટની મર્યાદા ૨,૨૫,૦૦૦ થી વધારીને ૨,૪૦,૦૦૦ કરવામાં આવી છે.એટ્લે કે વરીષ્ઠ નાગરીકોને તેમની કુલ વાર્ષીક આવક ૨,૪૦,૦૦૦ સુધીની હોય ત્યાં સુધી તેનાં પર ઈન્કમટેક્ષ લાગશે નહીં.આમ,વરિષ્ઠ નાગરીકોની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૫,૦૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.એ સિવાય તમામ પુરુષો અને મહીલાઓની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૦,૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે.જે પુરુષો માટે ૧,૫૦,૦૦૦ થી વધારીને રુ.૧,૬૦,૦૦૦ અને મહીલાઓ માટે રુ.૧,૮૦,૦૦૦ થી વધારીને ૧,૯૦,૦૦૦ કરવામાં આવી છે.
# તેની અસરઃ
વ્યક્તિને પોતાની વાર્ષીક આવકનાં પ્રમાણમાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં ઈન્કમટેક્ષની રકમમાં નજીવો ફાયદો થશે.
#૨- ઈન્કમટેક્ષ પરનાં ૧૦% સરચાર્જની નાબુદી
વાર્ષીક દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને જે તે સ્લેબ મુજબ લાગતાં ઈન્કમટેક્ષ સિવાય તેનાં પર વધારાનો ૧૦% સરચાર્જ ભરવાનો થતો હતો.બજેટ ૦૯-૧૦ માં આ ૧૦% સરચાર્જની નાબુદી કરવામાં આવી છે.
#તેની અસર
૧૦% સરચાર્જની નાબુદીને લીધે દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને ઈન્કમટેક્ષમાં મોટી રાહત મળશે.દા.ત.કોઈની વાર્ષીક આવક રુ.૧૫ લાખ હોય તો તેણે રુ.૩,૫૫,૦૦૦ ટેક્ષ ભરવાનો થાય અને રુ. ૩૫,૫૦૦ સરચાર્જ (૩% એજ્યુકેશન સેસ સિવાય) ભરવાનો થતો હતો પરંતુ ૧૦% સરચાર્જની નાબુદી થતાં હવે થી તેને ઈન્કમટેક્ષમાં વાર્ષીક રુ.૩૫,૫૦૦ નો ફાયદો થશે.
# ૩- સેકશન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
જો કોઈ વ્યક્તિનાં કુટુંબમાં અપંગ વ્યક્તિ તેને આધારીત જીવતો હોય તો ઈન્કમટેક્ષ નાં સેકશન ૮૦ DD મુજબ તેને તેની આવકમાંથી રુ.૭૫,૦૦૦ સુધીની રકમ બાદ મળતી હતી આ મર્યાદા બજેટ ૦૯-૧૦ માં વધારીને રુ.૧,૦૦,૦૦૦ સુધીની કરવામાં આવી છે.
# તેની અસર
કુટુંબમાં અપંગ વ્યક્તિ પોતાનાં આધારીત હોય તેવી વ્યક્તિની વાર્ષીક આવક ની ઈન્કમટેક્ષનાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં વધુ માં વધુ તેને રુ.૭,૫૦૦ સુધીની વધારાની રાહત આ જોગવાઈને લીધે મળવા પાત્ર છે.
#૪- સેકશન ૮૦ E નાં વ્યાપમાં વધારો
એજ્યુકેશન માટે લીધેલ લોન માટે ભરવામાં આવેલ વ્યાજની રકમને સેક્શન ૮૦ ઈ મુજબ ઈન્કમટેક્ષમાંથી મુક્તિ મળે છે.આ મુક્તિ અત્યાર સુધી ફક્ત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનાં અમુક અભ્યાસક્રમો જેમ કે એન્જીનીયરીંગ,મેડીસીન અને મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વિજ્ઞાન,ગણિત અને અંક ગણિતનાં અભ્યાસક્રમો માંજ લાગુ પડતી હતી.પરંતુ હવે થી આ બજેટમાં તેનો વ્યાપ વધારીને હવે થી દરેક પ્રકારનાં અભ્યાસક્રમો માટે લીધેલી લોનનાં ભરપાઈ થયેલાં વ્યાજ માટે આ મુક્તિ મર્યાદા લાગુ પડ્શે.
# તેની અસર
જો તમે ભણતર માટે લોન લીધેલી હશે અને અત્યાર સુધી તેમાં આ મુક્તિ મર્યાદા લાગુ પડ્તી નહીં હોય તો હવે થી તમે આ મુક્તિ મર્યાદાનો લાભ લઈ ઈન્કમટેક્ષમાંથી રાહત મેળવી શકો છો.
#૫- ઈન્કમટેક્ષ રીટર્ન નાં ફોર્મમાં વધારે સરળતા - સરલ - ૨
આ બજેટમાં ઈન્કમટેક્ષ રીટર્નનાં ફોર્મ હજી વધુ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
#તેની અસર
આ જોગવાઈને લીધે ઈન્કમટેક્ષનાં રીટર્ન ભરવાનું તમામ વર્ગનાં લોકો માટે વધુ સરળ બનશે અને વધુ ને વધુ લોકો પાન નંબર કઢાવીને ઈન્કમટેક્ષ ભરતાં થશે તેવી આશા સેવાઈ રહી છે.

બુધવાર, 15 જુલાઈ, 2009

બજેટ-૦૯ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર ઠંડુ પાણી રેડાયું

દિવા સ્વપ્ન સમાન બજેટમાં કોઈ નક્કર સુધારાઓ નહીં.મોંઘવારી કાબુમાં લેવા માટે કોઈ આયોજન નહીં.શેરબજાર માટે કપરો સમય.
પ્રણવ મુખરજીનાં બજેટ-૦૯ એ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર રીતસરનું ઠંડુ પાણી રેડ્યું છે.આજે જ્યારે સમગ્ર દેશ કોંગ્રેસ સરકારની આર્થીક નીતિઓ તેમજ વૈશ્વીક મંદીની અસરોને લીધે તમામ ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યો હોય તેમજ દેશમાં મોંઘવારીએ માઝા મુકી હોય તેવાં સંજોગોમાં દેશની જનતાને આ બજેટ પર ખુબ મોટી આશાઓ હતી પરંતુ દુઃખ ની વાત એ છે કે નાણાંમંત્રીએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક દિવા સ્વપ્ન સમાન બીલકુલ સામાન્ય સુધારાઓ સાથેનું એક દિશાહીન બજેટ રજુ કર્યું હતું.ભારતનાં શેરબજારમાં લાંબી મંદી બાદ ફરીથી એક હલચલ શરુ થઈ હતી તેવાં સંજોગોમાં આ બજેટ આગામી શેરબજારની દિશા અને દશા નક્કી કરશે તેવી આશા દેશનાં રોકાણકારો સેવતાં હતા.સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જે નાનાં રોકાણકારો માટે ભારે બોજા સમાન છે પરંતુ આ ટેક્સ નાબુદ કરવાની કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી તેને બદલે કોમોડીટીનાં સટ્ટાઓ કે જેને લીધે જીવન જરુર ખાધ પદાર્થોનાં ભાવો આસમાને ચડ્યાં છે તેને વધુ પ્રોત્સાહન આપતાં કોમોડીટી ટ્રાન્ઝેકશન ટેક્સ નાબુદ કરવામાં આવ્યો છે જેનો મોટો ફાયદો દેશનાં નાનાં રોકાણકારો ને નહીં પરંતુ કોમોડીટીમાં મોટા સટ્ટાઓ ખેલતી કંપનીઓ ને જ થશે.આવકવેરા નાં દરોમાં પણ મોટા ફેરફારોની આશાઓ હતી પરંતુ તેને બદલે સામાન્ય વર્ગ તેમજ સ્ત્રીઓ ની આવકમર્યાદા માં ફક્ત રુ ૧૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરીકો માટે ફક્ત રુ.૧૫,૦૦૦ નો વધારો કરી આમ આદમીનાં દિલ બહેલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે.અ સિવાય પેટ્રોલથી ચાલતાં ટ્ર્કો પરની એક્સાઈઝ ડ્યુટી માં ૧૦% ની રાહત આપવામાં આવી છે.પરંતુ મને લાગે છે કે પ્રણવ મુખરજી સાહેબ એ ભુલી ગયાં લાગે છે કે ભારતમાં મોટા ભાગની ટ્ર્કો પેટ્રોલ થી નહીં પરંતુ ડિઝલથી ચાલે છે તેથી આ જોગવાઈ પણ અર્થહીન છે.આ બજેટમાં પરોક્ષ વેરામાં કરાયેલાળ ફેરફારો નાં પરીણામે સરકારને રુ.૨૦૦૦ કરોડની વધારાની આવક થશે જે સામાન્ય પ્રજા માટે આર્થીક બોજા સમાન બની રહેશે.નાણાંમંત્રીએ ખાધ પદાર્થો,દવા,પેપર,કલાકૃતી,પ્રેશર કુકર,વોટર ફિલ્ટર,પ્યુરીફાયર અને વોટર પંપને બાદ કરતાં બાકીની તમામ વસ્તુઓ પરની એક્સાઈઝ ડ્યુટી ૪% થી વધારીને ૮% કરી છે જેને પરીણામે દેશમાં મોંઘવારીનું પ્રમાણ હજુ વધશે તેમાં કોઈ બે મત નથી.
દેશનાં ઉત્પાદન ક્ષેત્રની હાલત અત્યારે ખુબ જ ગંભીર છે.તેમજ દેશની કુલ નિકાસમાં ૪૦% જેટલો ઘટાડો નોંધાયો છે તેવાં સંજોગોમાં નાણાંમંત્રીએ જહાજ તેમજ રેલ્વે દ્વારાં થતી માલની હેરાફેરી પર સર્વીસ ટેક્સ લગાડ્યો છે જે ખરેખર દાઝ્યા પર ડામ દેવા સમાન છે.ભારતનાં કોર્પોરેટ જગત માટે પણ FBT હટાવવા સિવાય બીજી કોઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી નથી તેમજ વકીલો અને ચાર્ટડ એકાઉન્ટન્ટો ની સેવાઓને પણ સર્વીસ ટેક્સમાં આવરી લેવામાં આવી છે જેને પરીણામે ઉધોગ ગૃહો અને વેપારીઓનાં ખર્ચમાં પણ વધારો થશે.કરવેરામાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને પગલે ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ચીનની હરીફાઈ કરવામાં નિષ્ફળ જશે પરીણામે દેશમાં મંદીનું પ્રમાણ વધશે તેમજ બેરોજગારી માં પણ વધારો થશે.
આમ,બજેટ ૨૦૦૯-૧૦ એ દેશનાં દરેક ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું તેને પરીણામે આગામી સમય દેશનાં શેરબજાર માટે વધુ કપરો રહેશે.

શનિવાર, 4 જુલાઈ, 2009

રોકાણકારો સાવધાનઃપેન્ની સ્ટોક ફરીથી વધી રહ્યા છે

અગાઉ સસ્પેન્ડ થયેલી કંપનીઓ ફરીથી રીલીસ્ટીંગ કરાવી લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ ખોટી રીતે ભાવ ઉછાળી મોટો નફો રળવાનું કારસ્તાન કરી રહ્યાં છે.
ઘણાં લાંબા સમય બાદ ભારતનાં શેર બજારમાં ફરીથી હલચલ જોવા મળે છે.રોકાણકારો ફરીથી શેરબજાર તરફ પાછાં વળ્યાં છે.એક રીતે કહીએ તો ફરીથી તેજીની શરુઆત થઈ હોય તેવું લાગે છે.આવાં તેજીનાં ગાળાનો ગેરલાભ લેવા માટે અમુક ચોક્કસ જુથો દર વખતની જેમ આ વખતે પણ સક્રીય બન્યાં છે.આ વખતે રોકાણકારોને છેતરવા માટે તેઓએ રીલીસ્ટીંગ અને પેન્ની સ્ટોકનો સહારો લીધો છે.ભુતકાળમાં સ્ટોક એક્સચેંજનાં ધારા ધોરણોનું પાલન નહી કરતાં શેરબજારમાં થી ડીલીસ્ટેડ થયેલી કંપનીઓ ફરીથી સ્ટોક એક્સચેંજમાં રીલીસ્ટીંગ કરાવવા માટે લાઇનમાં ઉભી છે.છેલ્લાં છ મહીનામાં ૧૬ જેટલી આવી કંપનીઓ બોમ્બે સ્ટૉક એક્સચેંજમાં રીલીસ્ટેડ થઈ છે.લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ શેર નાં ભાવોમાં કોઈપણ પ્રકારનું સરકીટ ફીલ્ટર હોતું નથી તેથી આ તકનો લાભ લઈ ઓપરેટરો પહેલાં જ દીવસે આવાં શેરનાં ભાવોમાં ક્રુત્રીમ રીતે ૨૦૦૦ થી ૩૦૦૦ ગણો ઉછાળો લઈ આવી મોટો સટ્ટો ખેલી નાંખતા હોય છે.પરીણામે રોકાણકાર વર્ગને રડવાનો વખત આવે છે.
છ વર્ષ પછી ૨૫ મી મે નાં રોજ ફરીથી રીલીસ્ટેડ થયેલી રાજસ્થાનની કંપની પેસીફીક ઈન્ડસ્ટ્રીઝ નાં ભાવમાં રીલીસ્ટીંગનાં દિવસે ૨૭૫૭ ટકાનૉ ભાવ વધારો થાય છે અને એ પણ ફક્ત ૧૩૨ શેરનાં વોલ્યુમમાં જ! એવી જ રીતે અમદાવાદની ૮ વર્ષ પછી રીલીસ્ટેડ થયેલી કેમીકલ કંપની શ્રી ક્લોકેમ નાં શેરનાં ભાવમાં પણ રીલીસ્ટીંગનાં પ્રથમ દિવસે જ ૨૪૦૦ ટકાનો ઉછાળો ફક્ત ૧૦૦ શેરનાં વોલ્યુમમાં જ જોવા મળ્યો હતો.આવી જ રીતે બીજી કંપનીઓ નાં ભાવોમાં પણ અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે અને આ અસાધારણ ભાવ વધારા પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ શેરોમાં કંઈક ગેરરીતી થઈ રહી છે.આવી બીજી કંપનીઓ જોઈએતો મધુર ઈન્ડ્સ્ટ્રીઝ,બીન્ની,ક્વોન્ટમ ડિજીટલ,પીથમપુર સ્ટીલ,કેજીએન,સીલ્ફ ટેક્નોલોજીસ,સુજાના ટાવર્સ,એસ્.કુમાર નેશનવાઈડ,લોક હાઉસીંગ,કન્ટ્રી કલબ,સ્ટર્લીંગ ગ્રીનવુડ્ઝ વગેરે.ઉપરની આ બધી કંપનીઓ નાં ભાવોમાં ૧૦૦૦ ટકા થી લઈને ૩૦૦૦ ટકાનો અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે.રોકાણકાર વર્ગ માટે આવાં સટ્ટાકીય શેરો થી દુર જ રહેવું વધારે હીતાવહ છે.એક નાં બે કરવાની લાલચમાં લાખનાં બાર હજાર થાય તેવી સ્થિતિ બની શકે છે.તેથી જ પરસેવાની કમાણીનું રોકાણ કરતાં પહેલાં સમજી વીચારીને જ નિર્ણય કરવો આપણાં બધાં માટે હીતાવહ છે.